મારા વિચારો, મારી ભાષામાં!

~: ગુજરાતીમાં કાર્તિક મિસ્ત્રીનાં વિચારો :~

Archive for October 10th, 2008

પાલનપુરની મુલાકાતે..

with 4 comments

* ગઇકાલે અમારે મહેસાણા (મેહોણા)-પાલનપુરની મુલાકાતે જવાનું થયું. મહેસાણામાં એક મિત્રની નવી ઓફિસનું ઉદ્ઘાટન દશેરાનાં શુભદિવસે હતું, જ્યારે પાલનપુર એક સામાજીક પ્રસંગે જવાનું હતું.

હવે, કવિનનાં દાદા-દાદી આવ્યા હતા એટલે તે તો દાદામય બની તેમની જોડે પાલનપુર વહેલો જવા નીકળી ગયો અને અમને બન્નેને ખબર પડી કે કવિન વગર કેટલું સૂનું લાગે છે! માત્ર ૪-પ કલાક જ ની તો વાત હતી, તો પણ.

અને, પાલનપુરનો આખું બદલાઇ ગયેલું લાગ્યું! રસ્તા ચોખ્ખાં. નવાં સર્કલ્સ. ટ્રાફિક સિગ્નલ્સ! અને ફૂટપાથ. લોકો કહેતા’તા કે “મોદીસાહેબ આવ્યા હતા, તેનો કમાલ છે”. આવો, મોદીસાહેબ દરરોજ આવો અને મારા શહેરને ચોખ્ખું રાખો.

દિવસે સામાજીક પ્રસંગ પતાવીને રાત્રે નાનાં છોકરાંઓએ ભેગા મળીને રાવણ ફોડ્યો તે જોયો.

અમારા સુથારવાસમાં કેટલાય વર્ષોથી (વિક્રમ સંવંત ૨૦૧૧?) ગરબીની પરંપરા છે. નવરાત્રિના પ્રથમ રાત્રિએ ગરબી લાવવામાં આવે છે અને દશેરાની રાત્રે પાલનપુરનાં વિશ્વકર્મા મંદિરમાં પાછી મૂકવા જવામાં આવે છે. ગરબી લાકડાં અને પિત્તળની બનેલ છે. અને જ્યારે રાત્રે બધા દીવાઓ પ્રગટે છે ત્યારે, અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે.

બીજા દિવસે કેટલાંક સંબંધીઓને મળી અમદાવાદ પાછા આવવા માટે નીકળ્યા અને ઘર પહોંચીને ખબર પડીકે ઘરકામ કરવાવાળો રામો તો બે દિવસથી આવતો જ નથી. હા, સળંગ ત્રણ રજાઓ છે એટલે અપેક્ષા રાખજો કે તમને ધ રામા સ્ટોરી વિગતે જાણવા મળશે.