* થોડા સમય સુધી કોઇ પોસ્ટ ન આવી એટલે મને લાગ્યું કે મારો બ્લોગ અસ્તિત્વ ધરાવતો જ નથી (કેટલાક લોકોને હાશ પણ થઇ હશે અને થયું હશે કે કાર્તિક પણ અસ્તિત્વ ધરાવતો નથી! સોરી અબાઉટ ઇટ ;)). પણ, આજે થયું કે, ચાલો અત્યંત વ્યસ્ત દિવસે પણ કંઇક અપડેટ્સ લખી નાખીએ.
* બર્થ ડેની છેલ્લી બોરિંગ પોસ્ટ પછી કંઇ ખાસ ઘટનાઓ બની નથી. પણ તેમ છતાંય,
૧. કવિન દાદા-દાદી-કાકા-કાકીનાં ઘરે રહેવા ગયો અને અને તકનો લાભ લઇને અમે કોઇ મોલમાં ફરવા ગયા અને ત્યાં કંટાળ્યા એટલે જેની ટિકિટ મળે તે મુવી જોવાનું નક્કી થયું. સદ્ભાગ્યે અમને લંચબોક્સની ટિકિટ મળી અને એકંદરે સારું મુવી નીકળ્યું. થિએટર પણ પેક હતું. બીજી રો માં બેસવું પડ્યું, પણ સરસ એક્ટિંગ, એક પણ ગીત ન હોવાને કારણે કંટાળો ન આવ્યો. અંત થોડોક ઢીલો મૂક્યો હોય એમ લાગ્યું, પણ તે ડિરેક્ટરની શોર્ટ ફિલ્મો બનાવવાની આદત હશે એ પરથી લાગ્યું.
૨. રવિવારે પિંકેથોન – એટલે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ, સેલ્ફ ડિફેન્સ ટેક્નિક્સ વગેરેની સાથે – શિવાજી પાર્ક (દાદર) ની આજુ-બાજુ રનિંગ હતું. મિલિંદ સોમણ મળ્યો અને એ પણ આટલો ફાસ્ટ રનર છે તે થોડીવારમાં જણાયું (તે સારો રનર છે, એ તો ખબર જ હતી, કારણ કે એ લોકો દિલ્હી-મુંબઇ દોડીને ગયા હતા). થોડી ફોટોસેશનબાજી વગેરે થયું, પણ આપણે આરામથી નાસ્તો, સ્ટ્રેચિંગ વગેરેમાં વધારે ધ્યાન આપ્યું. શિવાજી પાર્કનું એક ચક્કર ૧.૨૭ કિલોમીટર થાય છે તે રનર ભક્તો ની જાણ ખાતર. અમારા રનિંગ ગ્રુપના લોકો જોડે ફરીથી મજા આવી ગઇ.
૩. રવિવારે જ – બ્લોગર મિત્ર સૂર્ય મોર્ય – ના ઘરે (સહકુટુંબ) મુલાકાત લેવામાં આવી. આપણાં દર્શિતભાઇની (બાબા બગીચાનંદજી કી જય!) જેમ તેઓ પણ બ્લોગ જગતમાં એક સરસ બ્લોગર છે. તેમની અંગતતા નિતી કારણોસર બીજી વિગતો જાહેર નહી કરવામાં આવે, પણ અમે સાથે જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં સમય મળ્યે જવાનું નક્કી કર્યું છે. વધુ વિગતો-પોસ્ટ ત્યાંની મુલાકાત પછી.
૪. આજ-કાલ લોકોને મફતમાંય વસ્તુ-સલાહ આપતાં લેતા નથી. કચ કચ કચ.
૫. વાંચન, ફિલમ – આ બન્ને શોખ માળિયે મૂકાઇ ગયા છે. ભાદરવા મહિનાનો તડકો હજી ઉઘડ્યો નથી એટલે તડકો આવે ત્યારે આ શોખો પાછાં પ્રકાશમાં લાવવા પડશે.
૬. વોટ્સએપ પર ફાલતુ જોક્સનો ડોઝ (વત્તા દરરોજનું ગુડ મોર્નિંગ-ગુડ નાઇટ પણ ખરું) હવે સહન થતો નથી. એનાં કરતાં તો આ વિડિઓ શેર કરવા વિનંતી: https://www.youtube.com/watch?v=8hC0Ng_ajpY ગંભીરતાથી વિચારીએ તો, વોટ્સએપ કે ફેસબુકમાં મૂકાતા ૯૦ ટકા જોક્સ ફિમેલને (કે કોઇ ચોક્કસ જાતિ-જ્ઞાતિ-વાડાને) સંબંધીને હોય છે. જો આપણી માનસિકતા આવી જ હોય તો શું કહેવું?
બીજાં સમાચારોમાં મારો મત જોઇએ તો,
૧. સુરતનાં પૂરનાં ગઇસાલનાં ફોટા જોયા પછી અત્યંત દુ:ખ થયું. મને એમ થાય છે કે, આ સમસ્યાનું કોઇ ઉપાય નથી. એ વાત અલગ છે કે આપણે લોકોની માનસિકતા ન બદલી શકીએ, પણ મારા નાનકડાં જીવનમાં જ ૧૦ થી ૧૧ વાર સુરતનાં પૂરનાં સમાચારો સાંભળ્યા છે, તો એનું કંઇક કરી ન શકાય? હલ્લો, મોદીજી?
૨. ત્રાસવાદ- નૈરોબી અને પેશાવર – સાંભળી દુ:ખનો ડોઝ ડબલ થયો. ત્રાસવાદને ધર્મ હોતો નથી જેવું ફાલતુ વાતો ફરીથી ફેસબુક પર વહેતી થઇ અને આપણે જોયા કર્યું.
બસ, બસ. આ તો મોટી પોસ્ટ થઇ ગઇ!!