* ગુરુ-શુક્ર સદંતર આરામ કર્યો. ગળું પેક અને તાવ. વર્ષો પછી તાવનો અનુભવ લીધો.. 🙂
* ખબર નહી છેલ્લે ક્યારે પાવાગઢ ગયો હતો (કોલેજમાંથી કદાચ?). પણ, પાવાગઢ ક્યારનુંય વિશલિસ્ટમાં હતું. આમેય મહાકાળી માતાજી અમારા કુળદેવી પણ એટલે કવિનને દર્શનનો લાભ આપવાનો જ હતો. એટલે, આગલા દિવસે નક્કી કર્યું કે કાલે પાવાગઢ જઈએ. ગુજરાત એક્સપ્રેસમાં વડોદરા આવ્યા, અને પછી એક જણાંને પૂછ્યું તો ખબર પડીકે બસ સ્ટેન્ડ નિઝામપુરા લઈ ગયા છે (જવાબ મળ્યો: અહીં ઈન્ટરનેશનલ બસ સ્ટેન્ડ બને છે! અને લગાવેલા ફોટા પરથી એવું જ લાગ્યું. હવે એ બને અને લોકો તેને સરખું રાખે ત્યારે ખરું!). કોકીએ કદાચ પહેલી વાર વડોદરા જોયું અને અમદાવાદથી ત્રાસેલા અમે એ વડોદરા રહેવા માટે કેવું એ વિશે એક નાનકડી ચર્ચા પણ કરી. વેલ, અત્યારે તો ખાલી ચર્ચા જ કરી છે! ત્યાંથી હાલોલ, ચાંપાનેર બસ દ્વારા અને ત્યાંથી દબાઈ-દબાઈને ભરેલા જીપડામાં માચી. રોપ-વેમાં જવાનું હતું કારણ કે, ઉપર કવિનને લઈને પગથિયાં ચડવાની મારી હિંમત નહોતી. કવિનને જોકે રોપ-વેમાં બહુ મજા આવી.
રોપ-વે પછી પણ પગથિયાં સારા એવા છે, પણ કવિને કંઈ કકળાટ ન કર્યો એટલે સરળતાથી દર્શન થયા. અને, થોડા સમય પછી નીચે જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. કવિન અને અમારા વચ્ચે રોજ થાય છે એમ કંઈ લઈ આપવા બાબતે સારું એવી ચર્ચા થઈ. આ રહી સાબિતી 😉
હોટલ ચાંપાનેર માં જમવાનું ઠીક-ઠીક હતું. કદાચ જમવા માટેનું એ એકમાત્ર સ્થળ છે. ફરી પાછાં જીપડા વડે ચાંપાનેર અને પછી ત્યાંથી સીધી અમદાવાદની બસ મળી નહીતર વડોદરાની મુલાકાતનો વિચાર હતો. પછી ક્યારેક. વડોદરા બસ સ્ટેન્ડ પર બ્લોગ વાચકે ઓળખી કાઢ્યો (હેલો, અમિત રાજન!) અને પછી અમદાવાદ આવતા પહેલા તેની જોડે થોડી ચર્ચા પણ કરી. કવિને અને મેં બપોરની રોજીંદી ઉંઘ બસમાં કાઢી એટલે અમદાવાદ પહોંચ્યા ત્યારે ફ્રેશ હતા. જોકે ઘરે જઈને થાક તો લાગ્યો જ હતો એટલે રાત પડજો વહેલી!