* બ્લોગ જગતમાં આ બ્લોગબાબા નું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ કોપી-પેસ્ટ, ચોરી-ચપાટી, પ્લેગરિજમ, કોમેન્ટ ઉઘરાણી વગેરે કરીને ધંધો કે ધંધા કર્યા હતા. પરંતુ કરુણતાની બાબતમાં બ્લોગબાબા એ સૌને ટપી ગયા. બ્લોગ-ફેસબુક પર ભરાતો બ્લોગબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય કે ન હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘બિગ બોસ’ જેવા કાર્યક્રમ જોવાની જરુર ન પડે. દેશની સમસ્યાના બ્લોગબાબા દ્વારા સૂચવાતા મૌલિક (કે ધાપેલા!) ઉકેલો સાંભળીને સ્વસ્થ વાચક બે ઘડી આંખો ચોળતો અને ‘જે વાંચુ છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. બ્લોગબાબાના દરબારમાં બબ્બે કોમેન્ટો અપ્રૂવ કરાવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુધ્ધિ – અરે, સાદીસીધી સામાન્ય બુધ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.
બ્લોગબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને મોદી સામે પડવાનો, તો કોઇને ગુજરાતમાં બધું જ ખરાબ છે એવું સૂચવે. કોઇને કહે કે ગરીબ કલ્યાણ મેળામાં ન જઇને કોંગ્રેસ પાસેથી પેલાં ઘરનું ઘરનું ફોર્મ ખરીદજો, તો કોઇને કહે કે BRTS ને બદલે પગપાળાં મુસાફરી કરજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.
મઝાની વાત એ છે કે બ્લોગબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને મુર્ખાઇ કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક દિગ્વિજયસિંહ આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને બ્લોગબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે ગુજરાતવિરોધી છો…’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)
‘વિષકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, ચંદ્રકાંત બક્ષીના જાણીતા પ્રયોગ (‘વિચારવું એ ખતરનાક ક્રિયા છે’) પ્રમાણે, અવિચારપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘બ્લોગબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.
.
..
…
….
‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’
આવતા વર્ષના ‘ભારતદુષ્ટરત્ન’ માટે બ્લોગબાબા કેમ રહેશે?
બસ, બસ, આથી વધારે હસવાની મારી તાકાત નથી 😉